નમી જાય માથું શરમ થકી, એ સહાયતા નું હું શું કરું?
મળી નાં શકુ જો સ્વયં ને હું, એ મહાનતા નું હું શું કરું?
કરી પીંજરાની આ કેદથી, મને મુક્ત એ તો જતાં રહ્યાં,
મળે નાં વિહાર ગગનમાં તો, આ સ્વતંત્રતા નું હું શું કરું?
લઈ પોટલું શિરે જ્ઞાનનું ,હજી ભટકું છું હું ય દરબદર,
કરે ભૂખ શાંત ના પેટની, તો આ વિદ્વતા નું હું શું કરું?
બધી ભાન શાન ત્યજી જતે, તો હરીનાં હેત મળી જતે,
હું ય નરશી થૈ જતે તો પછી, આ સભાનતા નું હું શું કરું?
કરી સ્હેજ આંખને બંધતો, મને મારી માનાં દરશ થયાં
હવે આંખ ખોલી બહારની, બધી રમ્યતા નું હું શું કરું?
આ જુવાની પણ કરી બેખબર, બધું બાળપણ તો લઈ ગઈ,
હવે કાનમાં રહી ગુંજતી, બધી વારતા નું હું શું કરું?
વિપુલ માંગરોળીયા ( વેદાંત )
No comments:
Post a Comment